સસ્પેન્ડ અને ડિસમિસ વચ્ચે શું ફરક હોય છે?
ખાતાકીય તપાસ એટલે શું? સસ્પેન્ડ એટલે શું? સસ્પેન્ડ થયેલા કર્મચારી વિરૂદ્ધ ખાતાકીય તપાસના પરિણામ

તમે ઘણી વાર સાંભળ્યું હશે, ન્યૂઝમાં જોયું હશે કે ફલાણા અધિકારીને કે કર્મચારીને સરકારે સસ્પેન્ડ કરી નાખ્યો છે અથવા ડિસમિસ કરી નાખ્યો છે. લોકો દ્વારા પણ ઘણી વખત સસ્પેન્ડ કરવાની માંગણીઓ કરવામાં આવતી હોય છે. પરંતુ મોટાભાગે જનતામાં કાયદાકીય જાણકારીનો અભાવ જોવા મળે છે જેના કારણે સરકાર જનતાને ચપળતાથી માત આપી દે છે. ચાલો જોઈએ સસ્પેન્ડ અને ડિસમિસ વચ્ચે શું ફર્ક હોય છે?
નિયમો શું છે?
ખાતાકીય તપાસ એટલે શું?
જ્યારે કોઈ સરકારી કર્મચારી કે અધિકારી પોતાની ફરજ બજાવવામાં કોઈ પણ રીતે અસફળ રહે જેમ કે; બેદરકારી દાખવી હોય, રિશ્વત લીધી હોય, સત્તાનો દુરૂપયોગ કર્યો હોય, મળેલી સત્તાના માધ્યમથી કોઈ કામ ન કરવાનો આક્ષેપ હોય, તેમની વિરૂદ્ધ કોઈ ફરિયાદ ચાલતી હોય તેવા સમયે જે તે સરકારી વ્યક્તિ પર લાગેલા આરોપોની ખાતરી કરવા માટે ખાતાકીય તપાસ કરવામાં આવે છે. આ તપાસના અંતે તે વ્યક્તિને સજા અથવા ડિસમિસ કરવામાં આવે છે.
સસ્પેન્ડ એટલે શું?
જે કોઈ પણ સરકારી કર્મચારી કે અધિકારી વિરૂદ્ધ ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હોય તે તપાસ દરમિયાન તપાસને પોતાના ફાયદામાં પ્રભાવિત ન કરી શકે, પોતાની સત્તાથી તપાસના પુરાવાઓ, સાક્ષીઓ અથવા રેકોર્ડ સાથે છેડછાડ ન કરે અને સાક્ષીઓ કે ફરિયાદીને પોતાની સત્તા દ્વારા ધમકાવી કે દબાવી ન શકે એ માટે તેને અમુક નિશ્ચિત સમયગાળા માટે સરકારી નોકરીની સત્તાઓ અને ફરજોની દૂર કરવામાં આવે છે જેને અંગ્રેજીમાં સસ્પેન્ડ કહેવામાં આવે છે.
સસ્પેન્ડ થયા પછી શું?
- સસ્પેન્ડ થયા પછી સરકારી સત્તા, ઑફિસ, હોદ્દો અને કામગીરી છોડવી પડે છે.
- સસ્પેન્ડ થયેલ વ્યક્તિને જીવનનિર્વાહ માટે ઘરે બધા 50% પગાર મળે છે.
- સસ્પેન્ડ વ્યક્તિ કોઈ પ્રાઇવેટ નોકરી કરી શકે નહિ, વ્યાજ પર પૈસા ન આપી શકે, શેર માર્કેટમાં કામ ન કરી શકે અને રાજકીય બાબતોમાં ભાગ ન લઈ શકે.
- સસ્પેન્ડ થયેલ વ્યક્તિ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ રહે છે પછી નોકરી પર પરત લાગી જાય છે.
સસ્પેન્ડ થયેલા કર્મચારી વિરૂદ્ધ ખાતાકીય તપાસના પરિણામ
- જો કર્મચારી કે અધિકારીએ ખૂબ ગંભીર ગેરવર્તણૂક કરી હોય તો તેને ડિસમિસ કરવામાં આવે છે. જેને ગુજરાતીમાં ફરજમુક્તિ કહેવાય છે. ડિસમિસ થયેલાને કોઈ સરકારી પગાર નથી મળતો, તેને નોકરી પર પરત લેવામાં નથી આવતા.
- જો કર્મચારીએ સામાન્ય પ્રકારની ગેરવર્તણૂક કરી હોય તો તેને સજા, દંડ અથવા ઇફાજો અટકાવવાનું કરીને નોકરી પર પરત લેવામાં આવે છે.
- જો કર્મચારી દ્વારા ગેરવર્તણૂક કર્યાનું સાબિત ન થાય તો તેને નોકરી પર પાછા લેવામાં આવે છે.
- સસ્પેન્ડ થયેલા કર્મચારી કે અધિકારીની બદલી કરી દેવામાં આવે છે કારણ કે, સેમ જગ્યાએ હાજર થાય તો ફરિયાદી અથવા તેના જુનિયર સ્ટાફ સાથે બદલાની ભાવનાથી વર્તન કરી શકે છે.
ટુંકમાં, મોટાભાગે જ્યારે કોઈ સરકારી કર્મચારી કે અધિકારી પર આક્ષેપ લાગે ત્યારે તેને સસ્પેન્ડ કરવામાં આવે છે અને ખાતાવહી તપાસના અંતે સામાન્ય પ્રકારની સજા કરીને અન્ય સ્થળે નોકરી પર હાજર કરવામાં આવે છે. બહુ ઓછાં કિસ્સાઓમાં વ્યક્તિને ડિસમિસ એટલે કે ફરજમુક્ત કરવામાં આવે છે જેમાં તેણે કાયમી ધોરણે નોકરી માંથી કાઢી નાખવામાં આવ્યા ગણાય.